અધ્યાય ૪ – જ્ઞાનકર્મ-સંન્યાસયોગ


શ્રીભગવાન બોલ્યા: આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો. તું મારો ભક્ત અને પ્રિય સખા છે, માટે એ જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે.

અર્જુન બોલ્યા: આપનો જન્મ તો હાલનો છે, જ્યારે સૂર્યનો જન્મ તો ઘણો પહેલાંનો છે; તો હું એ વાતને કેમ સમજું કે તમે જ સૂર્યને આ યોગ કહ્યો હતો?

શ્રીભગવાન બોલ્યા: હે અર્જુન ! મારા અને તારા ઘણા બધા જન્મો થઈ ચૂક્યા છે; એ બધાને તું નથી જાણતો, પણ હું જાણું છું. જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું પોતાના રૂપને સર્જું છું એટલે કે સાકારરૂપે લોકો સમક્ષ પ્રગટ થાઉં છું. સાધુ પુરુષોનો ઉદ્ધાર કરવા માટે, પાપકર્મ કરનારાઓનો વિનાશ કરવા માટે અને ધર્મની સમ્યક્ રીતે સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. મારા જન્મ અને કર્મ દિવ્ય અર્થાત્ નિર્મળ અને અલૌકિક છે – એમ જે માણસ તત્વથી જાણી લે છે, તે દેહ છોડીને પુનર્જન્મ નથી પામતો, પણ મને જ પામે છે. જે ભક્તો મને જેવા ભાવથી ભજે છે, હું પણ તેમને એવા જ ભાવથી ભજું છું. કર્મોના ફળને ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે; કેમકે એમને કર્મોથી ઉત્પન્ન થનારી સિદ્ધિ સત્વરે મળી જાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર – આ ચાર વર્ણોનો સમૂહ, ગુણ અને કર્મોના વિભાગ પ્રમાણે મારા દ્વારા સર્જાયેલો છે; આ પ્રમાણે એ સૃષ્ટિરચના વગેરે કર્મનો કર્તા હોવા છતાં પણ મુજ અવિનાશી પરમેશ્વરને તું વાસ્તવમાં અકર્તા જ જાણ. કર્મોના ફળમાં મારી સ્પૃહા નથી, માટે મને કર્મો લિપ્ત નથી કરતાં. કર્મ શું છે? અને અકર્મ શું છે? – એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી પુરુષો પણ મોહિત થઈ જાય છે. કર્મ અને અકર્મ બંનેનું સ્વરૂપ જાણવું જોઈએ, તેમજ વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ; કેમકે કર્મની ગતિ અતિ ગહન છે. જે માણસ કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જુએ છે, એ માણસ સઘળાં માણસોમાં બુદ્ધિશાળી છે તેમજ એ યોગી સમસ્ત કર્મો કરનારો છે. જેનાં સર્વ શાસ્ત્રસંમત કર્મો કામના કે સંકલ્પ વિના થાય છે તથા જેનાં બધાંય કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયાં છે, એ મહાપુરુષને જ્ઞાનીજનો પણ પંડિત કહે છે. યજ્ઞમાંથી બચેલા અમૃતનો અનુભવ કરનારા યોગીજનો સનાતન પરબ્રહ્મ પરમાત્માને પામે છે, જ્યારે યજ્ઞ ન કરનાર માણસ માટે તો આ મનુષ્ય-લોક પણ સુખદાયક નથી, તો પરલોક ક્યાંથી સુખદાયક હોય? અનેક જાતના યજ્ઞો વેદની વાણીમાં વિસ્તારથી કહેવાયેલા છે, એ સર્વેને તું મન, ઇન્દ્રિયો અને શરીરની ક્રિયા દ્વારા સંપન્ન થનારા જાણ; આ પ્રમાણે તત્વથી જાણીને એમના અનુષ્ઠાન દ્વારા તું કર્મબંધનથી પૂર્ણ રીતે છૂટી જઈશ. દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાનયજ્ઞ ઘણો ચઢિયાતો છે તથા યાવન્માત્ર સઘળાં કર્મો જ્ઞાનમાં સમાપ્તિને પામે છે. એ જ્ઞાનને તું તત્વદર્શી જ્ઞાનીજનો પાસે જઈને જાણી લે; એમને યોગ્ય રીતે દંડવત્ પ્રણામ કરવાથી, એમની સેવા કરવાથી તેમજ કપટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમાત્મતત્વને બરાબર ઓળખનારા એ જ્ઞાની મહાત્માજનો તને એ તત્વજ્ઞાનનો ઉપદેશ આપશે. જે રીતે ભડભડતો અગ્નિ ઘણાંબધાં ઈંધણોને ભસ્મીભૂત કરી નાખે છે, તે જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે. માટે આ સંસારમાં જ્ઞાનના જેવું પવિત્ર કરનારું નિ:સંદેહ બીજું કશું જ નથી; એ જ્ઞાનને ઘણા સમયથી કર્મયોગના આચરણ દ્વારા શુદ્ધાંત:કરણ થયેલો માણસ આપમેળે જ આત્મામાં પામે છે. જીતેન્દ્રિય, સાધનપરાયણ અને શ્રદ્ધાવાન માણસ જ્ઞાનને પામી જાય છે અને જ્ઞાનને પામીને એ તત્કાળ જ ભગવત્પ્રાપ્તિરૂપી પરમ શાંતિને પ્રાપ્ત થઈ જાય છે. વિવેકહીન, અશ્રદ્ધાળુ તેમજ સંશયગ્રસ્ત માણસ પરમાર્થથી નિશ્ચિતપણે ભ્રષ્ટ થઈ જાય છે; આવા સંશયગ્રસ્ત મનુષ્ય માટે ન આ લોક છે, ન તો પરલોક કે ન સુખ પણ છે. જેણે કર્મયોગના આચરણ દ્વારા સમગ્ર કર્મો પરમાત્માને અર્પી દીધાં છે તથા જેણે વિવેક વડે સકળ સંશયોનો નાશ કરી દીધો છે, એવા વશ કરેલ અન્ત:કરણવાળા પુરુષને કર્મો નથી બાંધતાં.

Posted in શ્રીમદ્ ભગવદ્ ગીતા | Leave a comment

અધ્યાય ૩ – કર્મયોગ


અર્જુન બોલ્યા: હે જનાર્દન ! જો તમને કર્મ કરતાં જ્ઞાન ચઢિયાતું માન્ય છે તો પછી મને આ યુદ્ધરૂપી ભયાનક કર્મમાં કેમ જોડો છો?

શ્રીભગવાન બોલ્યા: ખરેખર કોઈ પણ માણસ કદીયે ક્ષણમાત્ર પણ કર્મ કર્યા વિના નથી રહેતો; કેમકે આખાય મનુષ્યસમુદાયને પ્રકૃતિજનિત ગુણો વડે પરવશ થઈને કર્મ તો કરવું જ પડે છે. જે પુરુષ મન વડે ઇન્દ્રિયોને વશમાં કરી અનાસક્ત થઈને સઘળી ઇન્દ્રિયો દ્વારા કર્મયોગનું આચરણ કરે છે, તે યોગી જ શ્રેષ્ઠ છે. આથી તું શાસ્ત્રવિહિત સ્વધર્મરૂપી કર્તવ્યકર્મ કર; કેમકે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું શ્રેષ્ઠ છે તેમજ કર્મ ન કરવાથી તારો શરીર-નિર્વાહ પણ સિદ્ધ નહિ થાય. સઘળાં પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે, અન્નની ઉત્પત્તિ વરસાદથી થાય છે, વરસાદ યજ્ઞથી થાય છે અને યજ્ઞ વિહિત કર્મોથી ઉત્પન્ન થનારો છે, કર્મસમુદાયને તું વેદથી ઉદ્ભવેલો અને વેદને અવિનાશી પરમાત્માથી ઉદ્ભવેલો જાણ; આથી સિદ્ધ થાય છે કે સર્વવ્યાપી પરમ અક્ષર પરમાત્મા સદાય યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે. જે માણસ આત્મામાં જ રમનારો અને આત્મામાં જ તૃપ્ત તેમજ આત્મામાં જ સંતુષ્ટ હોય, તેના માટે કશું કરવાનું બાકી નથી રહેતું. એ મહાપુરુષનું આ સંસારમાં કર્મ કરવાથી કે ન કરવાથી કશું પ્રયોજન રહેતું નથી; તેમજ સઘળા જીવો સાથે પણ તેનો લેશમાત્ર પણ સ્વાર્થનો સંબંધ નથી રહેતો. આથી તું નિરંતર આસક્તિ વિનાનો થઈ હંમેશા કર્તવ્યકર્મોને સમ્યક્ રીતે કરતો રહે, કેમકે આસક્તિ વિનાનો થઈને કર્મ કરતો માણસ પરમાત્માને પામે છે. શ્રેષ્ઠ પુરુષ જે જે આચરે છે, અન્ય માણસો પણ તે તે જ આચરે છે; તે જે કંઈ પ્રમાણ કરી આપે છે, સકળ માનવ-સમૂહ તે પ્રમાણે વર્તવા લાગે છે. માટે કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાનીજનો જે પ્રમાણે કર્મ કરે છે, આસક્તિ વિનાનો વિદ્વાન પણ લોકસંગ્રહની ઇચ્છા રાખતો તે જ પ્રમાણે કર્મ કરે. પરમાત્માના સ્વરૂપમાં અચળ ભાવે સ્થિત થયેલો જ્ઞાની પુરુષ શાસ્ત્રવિહિત કર્મોમાં આસક્તિ રાખનારા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ અર્થાત્ એ કર્મો પ્રત્યે અશ્રદ્ધા ન ઉપજાવે; પરંતુ પોતે શાસ્ત્રવિહિત સઘળાં કર્મો સારી પેઠે કરતો રહી એમની પાસે પણ તે જ પ્રમાણે કર્મ કરાવે. વાસ્તવમાં સઘળાં કર્મો સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવે છે, છતાં પણ અહંકાર દ્વારા મોહિત થયેલા અંત:કરણનો અજ્ઞાની ‘હું કર્તા છું’ એમ માને છે, ગુણવિભાગ અને કર્મવિભાગના તત્વને જાણનાર જ્ઞાનયોગી તો સમસ્ત ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે એમ સમજીને એમનામાં આસક્ત નથી થતો અને પ્રકૃતિના ગુણોથી અત્યંત મોહિત થયેલા મનુષ્યો ગુણોમાં અને કર્મોમાં આસક્ત રહે છે; એવા સંપૂર્ણપણે ન સમજનાર મંદબુદ્ધિના અજ્ઞાનીઓને સંપૂર્ણપણે જાણનાર જ્ઞાની વિચલિત ન કરે. જે માણસો દોષદ્રષ્ટિ વિનાના અને શ્રદ્ધાળુ બનીને મારા આ મતને સદા અનુસરે છે, તેઓ પણ સર્વ કર્મોથી છૂટી જાય છે. પણ જે માણસો મારામાં દોષારોપણ કરીને મારા આ મત અનુસાર નથી ચાલતા, એ મૂર્ખાઓને તો તું સર્વ જ્ઞાનોમાં મોહિત અને નષ્ટ થયેલા જ સમજ. માટે મનુષ્ય માટે ઉચિત એ છે કે પ્રત્યેક ઇન્દ્રિયના વિષયમાં રાગ અને દ્વેષ છુપાઈને રહેલા છે; એ બન્નેને વશ ન થવું; કેમ કે તે બન્નેય એનાં કલ્યાણમાર્ગમાં વિઘ્નો ઊભાં કરનારા મહાશત્રુઓ છે.

અર્જુન બોલ્યા: હે કૃષ્ણ ! તો પછી આ માણસ પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ પરાણે જોડ્યો હોય એમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે?

શ્રીભગવાન બોલ્યા: રજોગુણમાંથી ઉદ્ભવેલો આ કામ જ ક્રોધ છે, આ ઘણું ખાનારો એટલે કે ભોગોથી કદી ન ધરાતો અને મહાપાપી છે, આને જ તું આ બાબતમાં વેરી જાણ. જેમ મેલથી દર્પણ ઢંકાઈ જાય છે, તેવી રીતે જ અગ્નિની પેઠે કદી પૂર્ણ ન થનારા જ્ઞાનીઓના વેરી કામ વડે આ જ્ઞાન ઢંકાયેલું રહે છે. અને ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ – એ સર્વ આનું રહેઠાણ કહેવાય છે; આ કામ આ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ જ્ઞાનને ઢાંકી દઈને જીવાત્માને મોહિત બનાવે છે, માટે તું પહેલાં ઇન્દ્રિયોને વશમાં કરીને, જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ મહાન પાપી કામને જરૂર બળપૂર્વક હણી નાખ. ઇન્દ્રિયોને સ્થૂળ શરીર કરતાં પર અર્થાત્ શ્રેષ્ઠ, બળવાન તેમજ સૂક્ષ્મ કહે છે; આ ઇન્દ્રિયો કરતાં મન, મન કરતાં બુદ્ધિ અને બુદ્ધિ કરતાં આત્મા પર છે.

Posted in શ્રીમદ્ ભગવદ્ ગીતા | Tagged , | Leave a comment

અધ્યાય ૨ – સાંખ્યયોગ


શ્રીભગવાન બોલ્યા: હે અર્જુન ! તારા જેવા શૂરવીરને અસમયે આવો મોહ ક્યાંથી થયો? કારણ કે ન તો આ શ્રેષ્ઠ પુરુષોએ આચરેલો છે, ન તો સ્વર્ગ કે યશ આપનારો છે. આથી હે પાર્થ! નપુંસકતાને વશ ન થા. હૃદયની આ તુચ્છ દુર્બળતાને ત્યજીને યુદ્ધ માટે ઊભો થઇ જા.

અર્જુન બોલ્યા: હે મધુસૂદન ! હું બાણોથી કઈ રીતે ભીષ્મપિતામહ અને દ્રોણાચાર્ય વિરુદ્ધ લડીશ? કેમકે તેઓ બંનેય પૂજનીય છે. વળી, અમે એ પણ જાણતા નથી કે યુદ્ધ કરવું કે ન કરવું; અથવા એ પણ નથી જાણતા કે અમે જીતીશું કે નહિ. આથી આપ કાયરતાને લીધે નષ્ટ થયેલા સ્વભાવના અને ધર્મની બાબતમાં મોહિત્તચિત્ત થયેલા મને જે નિશ્ચિતરૂપે કલ્યાણકારી સાધન હોય, તે કહો; કેમકે હું આપનો શિષ્ય છું, માટે આપના શરણે આવેલા મને ઉપદેશ આપો. કેમકે હું ક્યાંય પણ એવો ઉપાય નથી જોતો, જે મારી ઇન્દ્રિયોને સૂકવનારા શોકને નિવારી શકે.

શ્રીભગવાન બોલ્યા: હું, તું કે આ રાજાઓ કોઈ કાળમાં ન હતા એવું નથી; અને એવું પણ નથી કે હવે પછી આપણે બધા નહીં હોઈએ. જેમ જીવાત્માને આ શરીરમાં બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે; એ બાબતમાં ધીર પુરુષ મોહિત થતો નથી. ઠંડી-ગરમી અને સુખ-દુઃખ દેનારા ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો તો ઉત્પત્તિ-વિનાશશીલ અને અનિત્ય છે; માટે તેમને તું સહન કર. જે આ આત્માને હણનાર સમજે છે તથા જે એને હણાયેલ માને છે, તે બંનેય જાણતા નથી; કેમકે આ આત્મા વાસ્તવમાં નથી કોઈને હણતો કે નથી કોઈના દ્વારા હણાતો. આ આત્મા કોઈ પણ કાળમાં જન્મ લેતો કે મરણ પામતો હોય એમ નથી, તેમજ ઉત્પન્ન થઈને ફરીથી સત્તાવાન થતો હોય એમ પણ નથી; કારણ કે આ આત્મા અજન્મા, અવિનાશી, શાશ્વત અને પુરાતન છે, શરીરના હણાવા છતાં પણ આ હણાતો નથી. જેમ માણસ જૂનાં વસ્ત્રો ત્યજીને બીજાં નવાં વસ્ત્રો ગ્રહણ કરે છે, તેવી રીતે જ જીવાત્મા જૂનાં શરીરો ત્યજીને બીજાં નવાં શરીરો પામે છે. આ આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી. પણ જો તું આ આત્માને જન્મનાર અને મૃત્યુ પામનાર માનતો હોય તો પણ તારે શોક કરવો યોગ્ય નથી. કેમકે આ માન્યતા મુજબ જન્મેલાનું મૃત્યુ અને મરેલાનો જન્મ નિશ્ચિત છે. સઘળા પ્રાણીઓ જન્મ પૂર્વે અપ્રગટ હતાં અને મર્યા પછી પણ અપ્રગટ થઇ જનાર છે, કેવળ વચગાળામાં જ પ્રગટ છે, તો પછી આવી સ્થિતિમાં શો શોક કરવાનો? આમ છતાં પણ જો તું આ ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે, તો સ્વધર્મ અને કીર્તિને ગુમાવીને પાપને પામીશ. તથા તારી અપકીર્તિ પણ થશે અને ગૌરવશાળી પુરુષ માટે અપકીર્તિ મરણથીયે વધીને છે. અને તારા અતુલનીય પ્રભાવને લીધે જેઓ તને ઘણા સન્માનની દ્રષ્ટિએ જોતા આવ્યા છે, તેમની દ્રષ્ટિમાં તું તુચ્છતાને પામીશ. તે મહારથીઓ તને ભયને લીધે યુદ્ધથી વિમુખ થયેલો માનશે. તારા વેરીઓ તારા સામર્થ્યની નિંદા કરતાં તને ન કહેવા જેવાં વચનો પણ કહેશે; એનાથી વધારે દુઃખ બીજું શું હશે? જય-પરાજય, લાભ-હાનિ અને સુખ-દુઃખને સમાન સમજ્યા પછી યુદ્ધ માટે કટિબદ્ધ થઇ જા; આ પ્રમાણે યુદ્ધ કરવાથી તું પાપને પામીશ નહીં. વેદો ત્રણેય ગુણોના કાર્યરૂપ સઘળા ભોગો તથા એમનાં સાધનોનું પ્રતિપાદન કરનારા છે; માટે તું એ ભોગો અને એમનાં સાધનોમાં આસક્તિરહિત અને હરખ-શોક વગેરે દ્વન્દ્વોથી રહિત બનીને નિત્યવસ્તુ પરમાત્મામાં સ્થિત થઇ જા, તેમજ યોગક્ષેમને ન ઇચ્છનાર એટલે કે શરીરનિર્વાહની ચિંતા પણ ન કરનાર તથા સ્વાધીન અન્ત:કરણનો અર્થાત્ જિતેન્દ્રિય થા. બધી બાજુથી ભરપુર જળાશય મળી જતાં નાનકડા જળાશયમાં મનુષ્યનું જેટલું પ્રયોજન રહે છે, બ્રહ્મને તત્વથી જાણનાર બ્રાહ્મણનું સઘળા વેદોમાં એટલું જ પ્રયોજન રહે છે. તારો કર્મ કરવામાં જ અધિકાર છે, એનાં ફળોમાં કદીયે નહીં; માટે તું કર્મોનાં ફળનો હેતુ થા મા; અર્થાત્ ફલાપેક્ષાથી રહિત થઈને કર્તવ્યબુદ્ધિથી કર્મ કર તથા તારી કર્મ ન કરવામાં પણ આસક્તિ ન થાઓ. તું આસક્તિ ત્યજીને તથા સિદ્ધિ અને અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખીને યોગમાં સ્થિત થઈ કર્તવ્યકર્મો કર; ‘સમત્વ’ એ જ યોગ કહેવાય છે. આ સમત્વરૂપ બુદ્ધિયોગ કરતાં સકામ કર્મ ઘણું જ નીચલી કક્ષાનું છે, માટે તું સમબુદ્ધિમાં જ રક્ષણનો ઉપાય શોધ; કેમકે ફલાપેક્ષી જનો દયાને પાત્ર છે. સમબુદ્ધિયુક્ત માણસ પુણ્ય અને પાપ બેયને આ લોકમાં ત્યાગી દે છે – તેમનાથી મુક્ત થઈ જાય છે; આથી તું સમત્વરૂપ યોગમાં જોડાઈ જા, આ સમત્વરૂપ યોગ એ જ કર્મોમાં કુશળતા છે અર્થાત્ કર્મબંધનમાંથી છૂટવાનો ઉપાય છે. જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કળણને સારી રીતે ઓળંગી જશે, તે વખતે તું સાંભળેલા અને સાંભળવા બાકી રહેલા આ લોક તેમજ પરલોક સંબંધી બધાય ભોગો પ્રત્યે વૈરાગ્ય પામીશ. જાત-જાતનાં વચનો સાંભળવાને લીધે વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે પરમાત્મામાં સ્થિરભાવે અચળ અને સ્થાયી થઈ જશે, ત્યારે તું યોગને પામીશ અર્થાત્ તારો પરમાત્મા સાથે નિત્યસંયોગ થઈ જશે.

અર્જુન બોલ્યા: હે કેશવ ! સમાધિમાં સ્થિત પરમાત્માને પામેલા સ્થિરબુદ્ધિના પુરુષનું શું લક્ષણ છે? તે સ્થિરબુદ્ધિનો પુરુષ કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે તથા કેવી રીતે ચાલે છે અર્થાત્ તેનાં આચરણ કેવાં હોય છે?

શ્રીભગવાન બોલ્યા: હે પાર્થ ! જે વખતે આ પુરુષ મનમાં રહેલી સઘળી કામનાઓને સમ્યક્ રીતે ત્યજી દે છે અને આત્માથી આત્મામાં જ સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. દુઃખોની પ્રાપ્તિ થતાં જેના મનમાં ઉદ્વેગ નથી થતો, સુખો મળતાં જે સંપૂર્ણપણે નિ:સ્પૃહ હોય છે તથા જેના રાગ, ભય અને ક્રોધ નાશ પામ્યા છે, એવો મુનિ સ્થિરબુદ્ધિ કહેવાય છે. કાચબો બધી બાજુથી પોતાનાં અંગોને જેમ સંકોરી લે છે, તેમ જ્યારે આ પુરુષ ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને સર્વ પ્રકારે ખેંચી લે છે, ત્યારે તેની બુદ્ધિ સ્થિર છે (એમ સમજવું). ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ ન કરનાર પુરુષનાય માત્ર વિષયો તો નિવૃત થઈ જાય છે, પરંતુ એમના પ્રત્યેની આસક્તિ નિવૃત નથી થતી; જ્યારે આ સ્થિતપ્રજ્ઞ પુરુષની તો આસક્તિ પણ પરમાત્માનો સાક્ષાત્કાર કરીને નિવૃત થઈ જાય છે અર્થાત્ પરમાત્માનો સાક્ષાત્કાર થવાને લીધે એની સંસાર પ્રત્યે લેશમાત્ર આસક્તિ રહેતી નથી. આસક્તિનો નાશ ન થવાને લીધે મંથન કરી નાખવાના સ્વભાવની આ ઇન્દ્રિયો યત્ન કરતા બુદ્ધિમાન મનુષ્યના મનને પણ પરાણે હરી લે છે, માટે સાધક માટે જરૂરી છે કે પોતે એ સમસ્ત ઇન્દ્રિયોને વશમાં કરી સમાહિતચિત્ત થયેલો મારા પરાયણ થઈને ધ્યાનમાં બેસે; કેમકે જે પુરુષની ઇન્દ્રિયો વશમાં હોય છે, તેની બુદ્ધિ સ્થિર થાય છે. વિષયોનું ચિંતન કરનારા પુરુષને તે વિષયોમાં આસક્તિ જન્મે છે, આસક્તિથી તે વિષયોની કામના ઉત્પન્ન થાય છે અને કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે. ક્રોધથી ઘણી મૂઢતા આવે છે, મૂઢતાથી સ્મૃતિમાં ભ્રમ ઊભો થાય છે, સ્મૃતિમાં ભ્રમ ઊભો થવાથી બુદ્ધિ અર્થાત્ જ્ઞાનશક્તિનો નાશ થઈ જાય છે અને બુદ્ધિનો નાશ થવાથી એ પુરુષનું પોતાની સ્થિતિથી પતન થાય છે, પરંતુ સ્વાધીન અંત:કરણનો સાધક પોતાના વશમાં કરેલી રાગદ્વેષ વિનાની ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં વિચરણ કરતો અન્ત:કરણની આધ્યાત્મિક પ્રસન્નતાને પામે છે. અન્ત:કરણ પ્રસન્ન થતાં આનાં સર્વ દુઃખોનો અભાવ થઈ જાય છે અને એ પ્રસન્ન-ચિત્તના કર્મયોગીની બુદ્ધિ તત્કાળ જ બધી બાજુએથી દૂર થઈને એક પરમાત્મામાં જ સારી પેઠે સ્થિર થઈ જાય છે. સમસ્ત પ્રાણીઓ માટે જે રાત્રી સમાન છે, તે નિત્ય જ્ઞાનસ્વરૂપ પરમાનન્દની પ્રાપ્તિમાં સ્થિતપ્રજ્ઞ યોગી જાગે છે; અને જે નાશવંત સાંસારિક સુખની પ્રાપ્તિમાં સઘળાં પ્રાણીઓ જાગે છે, પરમાત્માના તત્વને જાણનાર મુનિ માટે તે રાત્રી સમાન છે. જે પ્રમાણે સમુદ્રમાં અનેક નદીઓના પાણી તેને વિચલિત કર્યા વિના જ સમાઇ જાય છે, તે જ પ્રમાણે સર્વ ભોગો જે સ્થિતપ્રજ્ઞ પુરુષમાં કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વિના જ સમાઈ જાય છે, તે જ પુરુષ પરમ શાંતિને પામે છે, ભોગોને ઇચ્છનારો નહીં. જે પુરુષ સઘળી કામનાઓ છોડીને મમતા વિનાનો, અહંકાર વિનાનો અને સ્પૃહા વિનાનો થઈને વિચરે છે તે જ શાંતિને પામે છે અર્થાત્ તે શાંતિને પામેલો છે.

Posted in શ્રીમદ્ ભગવદ્ ગીતા | Tagged , | Leave a comment

અધ્યાય ૧ – અર્જુનવિષાદયોગ


અર્જુન બોલ્યા: હે કૃષ્ણ ! યુદ્ધમાં સ્વજનોને જોઇને મારાં અંગો શિથિલ થઇ રહ્યાં છે, મો સુકાઈ રહ્યું છે, હાથમાંથી ગાંડીવ સરી રહ્યું છે તથા મારું મન જાણે ભમે છે. અને હું તો લક્ષણો પણ અવળા જ જોઉં છું અને સ્વજનોને મારીને કલ્યાણ પણ નથી જોતો. હું ન તો વિજય ઈચ્છું છું અને ન તો રાજ્ય. ન સુખ પણ.

રણભૂમિમાં શોકથી ઉદ્વિગ્ન મનનો અર્જુન આમ કહીને બાણ-સહિત ધનુષ ત્યજીને રથના પાછળના ભાગમાં બેસી ગયો.

Posted in શ્રીમદ્ ભગવદ્ ગીતા | Tagged , | Leave a comment